Tuesday 16 May 2017

માણકી ઘોડીનો ઇતિહાસ

આજે ભગવાન શ્રી સ્‍વામીનારાયણની માણકી ઘોડીની ૧૮૩મી પુણ્‍યતિથિ... રાણા પ્રતાપના ઘોડા ચેતકનું નામ પ્રખ્‍યાત છે. તેમજ નેપોલીયનના ઘોડા બ્‍યુ સેફેલેસનું નામ પ્રખ્‍યાત છે. પણ એ ઘોડાઓનો ઉપયોગ યુધ્‍ધમાં થયો હતો. પરંતુ ભગવાન સ્‍વામિનારાયણની અલૌકીક માણકી ઘોડીની જીવનકથા અનેરી છે. સર્વ દેવોને પોતાના વાહનો હોય છે. તેમ, ઇતિહાસ એમ કહે છે કે, શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનું દૈવી વાહન એટલે માણકી ઘોડી .

જસદણમાં કાઠી દરબારને ત્‍યાં એક દૈવી ઘોડી હતી અને ઘોડીનું નામ સામર્થી, સારાએ કચ્‍છ-કાઠીયાવાડમાં પંકાવા લાગી હતી. કચ્‍છમાં એક મિયાણો હતો અને તે અઠંગ ચોર હતો. આ જાતવાન ઘોડી ચોરી લાવવાની તીવ્ર ઇચ્‍છા જાગી પરંતુ કાઠીને ત્‍યાં કડક બંદોબસ્‍ત હોવાથી એ ઇચ્‍છા મનમાં જ રહી ગઇ. સમય જતા તે મિયાણાનો અંતકાળ આવ્‍યો... અને તેમનો જીવ કોઇ રીતે જતો ન હોવાથી, તેમના દિકરાએ પુછયુ ત્‍યારે કહ્યું કે મારી એક ઇચ્‍છા અધુરી છે. તે ઘોડી ચોરવાની વાત કરી અને તેના દિકરાએ પ્રતિજ્ઞા કરી તે કામ હું પુર્ણ કરીશ ત્‍યારે તેનો જીવ છૂટ્યો.
બાદમાં તેમનો પુત્ર જસદણ દરબારને ત્‍યાં નોકરીએ રહી ઘોડી સાચવતો અને વિશ્વાસ પ્રાપ્ત કરી, મોકો મળ્‍યે તે ઘોડી ચોરીને કચ્‍છ તરફ જતો રહ્યો. એક દિવસ ઘોડીને દરિયા કિનારે ઘાસ ચારવા મુકી હતી ત્‍યારે દરિયામાંથી એક દેવતાઇ જળઘોડો બહાર આવ્‍યો અને આ ઘોડી સાથે સંગ કર્યો, એના સંગથી એ ઘોડીને જે વછેરી થઇ એ જ માણકી ઘોડી.

માણકી ઘોડી બહુ રૂપાળી અને સર્વ ગુણ સંપન્ન હતી. અશ્વવિદ્યાની ભાષામાં ઘોડીની છત્રીસ ખામીઓ બતાવવામાં આવી છે. પણ આ માણકીમાં એ એકેય ખામી ન હતી. ભુજનાં રાજાને આ માણકી ઘોડી વિષે ખબર પડતા તેણે મિયાણા પાસેથી માણકી અને તેની મા એ બન્નેને ખરીદી લીધા. કચ્‍છમાં રાજાનાં ફટાયા કુંવરની દીકરી મીણાપુરમાં આવ્‍યા ત્‍યારે તેમણે કુંવરીને પહેરામણીમાં માણકી ઘોડી આપી દીધી. અને મીણાપુરમાં દરબાર સુરનાનજી ઝાલાએ આ માણકી ભગવાન શ્રી સ્‍વામિનારાયણને અર્પણ કરેલ ત્‍યારે એ દરબારને એક દિકરી હતી જેના સામુ જોઇને ભગવાન સ્‍વામિનારાયણે પુછયુ શું નામ છે? ત્‍યારે કીધુ કે ‘‘મોંઘી'' નામ છે. શ્રીજી મહારાજ કહે ઓ હો હો..! તો તો બહુ ‘‘મોંઘા'' ઠેકાણેથી તેનું માંગુ આવશે. તેવા રાજીપાના આશિર્વાદથી, થોડા સમય બાદ એ મોંઘીબાનું સગપણ ગોંડલ નરેશ સંગ્રામસિંહબાપુ સાથે થયું. (હાલનું ગોંડલનું સ્‍વામીનારાયણ મંદીર, મોંઘીબાએ સ્‍વખર્ચે બંધાવેલ છે.)

માણકી ઘોડી શ્રીજી મહારાજની મરજી મુજબ, આજીવન એમની સેવક રહી અરે.. ! ગરુડથી પણ ચડીયાતી પુરવાર થઇ. સ્‍વામિનારાયણ પ્રભુ આ લોકમાં પ્રગટયા ત્‍યારે તેમની સાથે અનેક મુકતો અને અવતારો પણ પધાર્યા હતા. તેમાં માણકી ઘોડી, પશુ સ્‍વરૂપે પણ એક મહામુકત જ હતી. જયારે શ્રીજી મહારાજ આ લોકમાંથી સવંત ૧૮૮૬ના જેઠ સુદી ૧૦નાં રોજ પોતાના અક્ષરધામ પધાર્યા ત્‍યારે આ માણકી ઘોડીને એટલો આઘાત લાગ્‍યો કે ત્‍યારથી ચોધાર આંશુઓ જ પડયા કરે, અને મોઢામાં એક તરણું પણ નથી મુકયુ કે નથી પીધુ પાણીનું ટીપુ. અને આંખોમાંથી અખંડ ચોધાર આંશુઓ જ સાર્યા. એક બે દિવસ નહીં પરંતુ બાર-બાર દિવસ આવો જ આઘાત... ત્‍યારે સદ્દગુરૂ ગોપાળાનંદ સ્‍વામીએ તેમની પાસે જઇને આજ્ઞા કરી. હવે તો તું કઇંક સમજ અને અન્‍નજળ ગ્રહણ કર.  ત્‍યારે એ પશુએ ઇશારાથી માથુ હલાવી અને ફકત રાબેતા મુજબ આશુંડા જ સાર્યા... ગોપાળાનંદસ્‍વામી તેમની મરજી જાણી ગયા અને કહ્યું કે આ માણકી હવે શ્રીજી મહારાજનાં વિરહમાં અહીં રહેવા તૈયાર નથી. અને એમ જ થયું શ્રીજી મહારાજનાં તેરમાંના જ દિવસે ખાધા-પીધા વિના પ્રાણ મૂકી પોતાના પ્રાણ પ્રિયને મળવા અક્ષરધામ સીધાવી. અને સમગ્ર પ્રાણી-જગતમાં, આ ઘોડી એક ઇતિહાસ બની ગઇ. ગઢપુરમાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણનાં અગ્નિ સંસ્‍કારની બાજુમાં માણકીની અંતિમ વિધી કરેલ અને ઓટો પ્રસાદીનો ચણાવેલ છે, તે આજે પણ દર્શન આપી રહેલ છે.


માણકીએ ચડયા રે... મોહન વનમાળી શોભે રૂડી કરમાં લગામ રૂપાળી... માણકીએ.......ધન્ય એ માણકીને...

0 comments:

Post a Comment